ગુજરાતમાં રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની સાગમટે બદલીનો ગંજીપો ચીપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં તાજેતરમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની શક્યતાઓ સેવાઇ રહી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીઓની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવે તેવી શક્યતા છે.
ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 60 થી વધારે આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતા છે. આ ઉપરાંત 6 જેટલા અધિકારીઓને બઢતી પણ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ ગુજરાત મુલાકાત આવ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓની બદલીઓ અંગે ચર્ચા કરી હતી. જો કે હાલમાં રથયાત્રા હોવાના કારણે બદલીની પ્રક્રિયા હોલ્ડ પર મુકવામાં આવી છે.
પોલીસ વિભાગમાં આઇપીએસ અધિકારીઓ ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતનું સમગ્ર પોલીસ માળખું ફેરવાય તેવી શક્યતા છે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આગામી સમયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત શહેરોમાં પોલીસવડાથી માંડીને પીઆઇ સુધી બદલીઓનો દોર થાય તેવી શક્યતા છે.