અમદાવાદઃ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. તેમણે આ ઉત્પાદકો અને વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને વાવેતરથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીની વિગતો મેળવી હતી.આ કાર્યક્રમમાં શ્રમ રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા કહ્યું કે, એગ્રીકલ્ચર ટુરિઝમને વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાઓને વેચાણ કરી શકે તેવા હેતુથી આ રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેંગો ફેસ્ટિવલમાં ભારતના વિવિધ પ્રાંતમાં ઉત્પાદિત થતી કેરીઓનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોના કેરી ઉત્પાદકો અહીં એક જ સ્થળે મળી ગુણવત્તા સાથે કેરીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટે જ્ઞાનનું આદાન-પ્રદાન પણ કરશે. ગુજરાતના કચ્છ અને ગીર પંથક સહિત અનેક પ્રદેશોમાં કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો, વાડીના માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાના ક્ષેત્રના વિકાસ માટે એક પ્લેટફોર્મ મળશે.
આ મહોત્સવમાં ઉત્તર પ્રદેશની અંબિકા, અરૂણીકા, અરૂનિમા, પ્રતિભા, પિતાંબરા, લાલીમા, શ્રેષ્ઠ, સુર્યા, હુસનેરા, નાઝુક બાદન, ગુલાબ ખસ, ઓસ્ટીન, દશેરી, ચાઉસા, લંગડા, અમીન ખુર્દ, ગ્લાસ આમ્રપાલી, મલ્લિકા, ક્રિષ્ના ભોગ, રામ ભોગ, રામકેલા, શેહદ કુપ્પી, જરદારૂ, લખનૌવા સફેડા, જોહરી, સફેડા, બેંગ્લોરા, અમીન દુધિયા, બદામી ગોલા, બુધિયા, યુક્તિ, ફઝિલ, કેસર, લંબુરી, નારદ, સુરખા પરા, સુરખા, દશેરી, ચૌસા, લંગરા, આમ્રપાલી, મલ્લિકા, બોમ્બે ગ્રીન, યથાર્થ, મહારાષ્ટ્રની રત્નાગીરી, પશ્ચિમ બંગાશની હિમસાગર, આમ્રપાલી, બિહારની મૈદા, જરદાળુ ક્રિષ્નાભોગ, રાજસ્થાનની દશેરી, મલ્લિકા, લાંગરા, કેસર, કર્ણાટકની કર્ણાટકા આલ્ફાન્ઝોં અથવા બદામી મેંગો, કેરળની તોતા અને સુંદરી, આંધ્રપ્રદેશની બદામ, દિલ્હીની આલ્ફાન્સો, તમિલનાડુની તોતા અને સુંદરી, ગુજરાતની કેસર, હાફુસ કેરી તથા કેરીનું અથાણું, છૂંદો, મેંગો પલ્પ, શેક જામદર સહિતની અન્ય વેરાઈટીના ૫૦ થી વધુ સ્ટોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.