1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી
અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી

અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રમ પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે અને તા. 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ પણ કરાવે તેવી શકયતા છે. જો કે, શહેરીજનો આ સેવાનો લાભ બે દિવસ બાદ એટલે કે ગાંધી જ્યંતિથી મેળવી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ હેઠળ, મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે, જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.  રૂ.12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે.

વર્ષ 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ સામેલ છે. બન્ને કોરિડોરમાં ટિકીટનો દર અલગ અલગ સ્ટેશન માટે  રૂ.5થી 25 રહેશે.

સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકીટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન CCTV કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ SRPF અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

શહેરના થલતેજ , દૂરદર્શન કેન્દ્ર, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ પીસ્ટેડિયમ, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન,  કાંકરિયા પૂર્વ,  એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ ખાતે કોરિડોરના સ્ટેશન તૈયાર કરવામાં આવ્યાં છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે. જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code