
દિલ્હીમાં ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ, ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ સુરક્ષા વ્યવસ્થાના હેતુસર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં 23થી 26 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો સપ્ટેમ્બર 2023 દરમિયાન G20 સંમેલનમાં શામેલ થવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.
ઉત્તર રેલવે અધિકારીએ જણાવ્યું છે કે, લીઝ્ડ SLR, વીપી અને ડિમાન્ડ વીપી સહિત તમામ પ્રકારના પાર્સલની લેવડદેવડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હી ક્ષેત્રના રેલવે સ્ટેશન નવી દિલ્હી, દિલ્હી જંક્શન, હજરત નિજામુદ્દીન, આનંદ વિહાર ટર્મિનલ, દિલ્હી સરાય રોહિલ્લા તથા આદર્શ નગરથી પસાર થતી ટ્રેનમાં આ પ્રતિબંધનો નિર્ણય લાગુ થશે. દિલ્હી ક્ષેત્રમાં લોડિંગ તથા અનલોડિંગ માટે સ્ટોપેજ ધરાવતા અન્ય ડિવીઝન તથા ક્ષેત્રમાંથી પસાર થતી ટ્રેનમાં આ નિયમ લાગુ થશે. યાત્રી ડબ્બાઓમાં વ્યક્તિગત સામાન માટેની મંજૂરી આપવામાં આવશે.
દેશની રાજધાની દિલ્હીમાં તા. 26મી જાન્યુઆરીના રોજ ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. જેની તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.