અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” ભૂતકાળ બની જશે
નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026: અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલા ‘સિવિલ લાઇન્સ’ જેવા વિસ્તારોનાં નામ અને ઓળખ હવે ઇતિહાસ બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં સંસ્થાનવાદી (સામ્રાજ્યવાદી) સમયની બચેલી પરંપરાઓ અને નામોને બદલવાની દિશામાં કામ કરી રહી છે. આ ક્રમમાં ‘સિવિલ લાઇન્સ’ ની પણ સમીક્ષા કરવાનું નક્કી થયું છે.
અહેવાલ અનુસાર, સરકાર એક મોટું અભિયાન ચલાવી રહી છે, જેના હેઠળ બ્રિટિશ શાસનની નિશાનીઓને ઓળખીને તેમને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ બદલવામાં આવશે. જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને આવી સંસ્થાનવાદી પ્રથાઓ ઓળખવા અને તેમના ભારતીય વિકલ્પો સૂચવવા માટે કહ્યું હતું.
‘સિવિલ લાઇન્સ’ નો ઇતિહાસ
‘સિવિલ લાઇન્સ‘ ની શરૂઆત 19મી સદીમાં થઈ હતી. આ વિસ્તારો ખાસ કરીને બ્રિટિશ અધિકારીઓને રહેવા માટે બનાવવામાં આવ્યા હતા, જ્યાં અન્ય રહેણાંક વિસ્તારોની સરખામણીમાં વધુ સારી સુવિધાઓ અને માળખું હતું. આ ક્ષેત્રો સત્તાની નજીક હોવાનાં પ્રતીક પણ માનવામાં આવતા હતા.
ઘણાં શહેરોમાં અસ્તિત્વ ધરાવે છે સિવિલ લાઇન્સ
વર્તમાન સમયમાં પણ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં ‘સિવિલ લાઇન્સ’ અસ્તિત્વ ધરાવે છે. પહેલા આ વિસ્તારો જૂના શહેરો કે બજારોથી અલગ હોવાને કારણે પોતાની ખાસ ઓળખ ધરાવતા હતા.
શહેરી આયોજનકારોના મતે, તે સમયે શહેરોનો વિકાસ એવી રીતે કરવામાં આવતો હતો કે એક તરફ સૈન્ય છાવણી (કેન્ટોનમેન્ટ) હોય અને બીજી તરફ સિવિલ લાઇન્સ. આ શહેરોના આયોજિત વિકાસનો એક ભાગ હતો. પૂર્વ DDA કમિશનર એ.કે. જૈનનું કહેવું છે કે હવે આ વિસ્તારોમાં ઘણો બદલાવ આવી ગયો છે. પહેલા જ્યાં બંગલા હતા, ત્યાં હવે બહુમાળી ઇમારતો બની ગઈ છે અને આ વિસ્તારો હવે શહેરનો સામાન્ય હિસ્સો બની ગયા છે.
આ પણ વાંચોઃ TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ
નામ બદલવા અંગેનો અભિપ્રાય નિષ્ણાતોનું માનવું છે કે હવે ‘સિવિલ લાઇન્સ’ નું નામ બદલવાની બહુ મોટી અસર નહીં થાય, કારણ કે આ વિસ્તારોની ઓળખ સમયની સાથે બદલાઈ ચૂકી છે. જોકે, સરકારનો ઉદ્દેશ્ય સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર નીકળીને ભારતીય ઓળખને મજબૂત કરવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે અનેક રસ્તાઓ અને જગ્યાઓના નામ બદલ્યા છે. ઉદાહરણ તરીકે, દિલ્હીના ‘રેસ કોર્સ રોડ’ નું નામ બદલીને ‘લોક કલ્યાણ માર્ગ’ કરવામાં આવ્યું છે.
આ પરિવર્તન દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવામાં અત્યંત મહત્ત્વ નું સાબિત થશે. સરકારના આ નિર્ણયો રાષ્ટ્રીય સ્વાભિમાનને મજબૂત કરવા માટે અને નવા ભારતની ઓળખ ઊભી કરવા માટે લેવામાં આવી રહ્યા છે.


