દિલ્હીઃ વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાંકેત કોર્ટે આરોપી આરિઝ ખાનને ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ તા. 15મી માર્ચે આરોપીને સજા સંભળાવશે. આ ઉપરાંત બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારી અને ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બર, 2008ના રોજ દક્ષિણ દિલ્હીના બાટલા હાઉસ ખાતે સંતાયેલા 5 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવા પોલીસે છાપો માર્યો હતો. તે સમયે આરોપીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયાં હતા. જ્યારે બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હતા. એન્કાઉન્ટરમાં 3 આરોપીઓના મોત થયાં હતા. તેમજ બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં અગાઉ આતંકવાદી શહજાદ અહમદને કોર્ટે સજા ફરમાવી હતી. આ કેસમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનો આતંકવાદી આરિઝ ઉર્ફે જુનૈદ ફરાર થઈ ગયો હતો. આતંકવાદી આરિઝની સંડોવણી દિલ્હી, જયપુર અને યુપીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પણ સંડોવણી સામે આવી હતી. દરમિયાન મૂળ આઝમગઢના આરિઝને પોલીસે ફેબ્રુઆરી 2018માં ઝડપી લીધો હતો.
આ કેસની દિલ્હીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવ્યો છે. કોર્ટે આરોપીને હત્યા, હત્યાનો પ્રયત્ન, સરકારી કર્મચારીઓ પર હુમલો, સરકારી કર્મચારીના કામમાં અડચણરૂપ ઉભી કરવી, આર્મ્સ એક્ટ સહિત અન્ય આરોપોમાં દોષી ઠેરવ્યો છે. આ ઉપરાંત તપાસ અધિકારીને શહિદ પોલીસ અધિકારી તથા ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક, સામાજીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે તેના આધાર પર પીડિત પરિવારને વળતર દેવા અંગે વિચારણા કરવામાં આવશે.