રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો
અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે.
અહેવાલ મુજબ 25 નવેમ્બરને મંગળવારે રામ મંદિરના શિખર ઉપર ધ્વજ ચડાવવાનો હોવાથી આ મંદિરમાં લગભગ 36 કલાક સુધી સામાન્ય દર્શનાર્થીઓને જવા નહીં મળે.
ચંપતરાયજીએ શું કહ્યું?
આ અંગેની જાહેરાત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કરી છે. 25 નવેમ્બરના ભવ્ય કાર્યક્રમ અંગે વિગતો આપતા તેમણે કહ્યું છે કે, આગામી મંગળવારે મંદિરના શિખર ઉપર ધ્વજ ચડાવવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત સહિત સંતો-મહંતો હાજર રહેશે.
ચંપતરાયે એક વીડિયો દ્વારા દેશ અને દુનિયાના ભક્તજનોને સંદેશો આપ્યો છે કે, આ દિવસે તમામ લોકો પોતાના ઘરેથી જ ટીવી તેમજ યુટ્યુબના માધ્યમથી ધ્વજારોહણ સમારંભ લાઈવ નિહાળી શકશે, તેથી બધાએ એ દિવસે અયોધ્યા આવવાની જરૂર નથી.
જોકે તેમણે ઉમેર્યું છે કે, આ ભવ્ય સમારંભના લાઈવ પ્રસારણ ઉપરાંત તંત્ર દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા નગરમાં ઠેરઠેર મોટા સ્ક્રિન ગોઠવવામાં આવશે જેના ઉપર સમારંભ નિહાળી શકાશે.
તીર્થ ટ્રસ્ટના મહાસચિવે સૌથી અગત્યની જાહેરાત એ કરી છે કે, આ ધ્વજારોહણનો અર્થ એ છે કે શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે.


