રૂપાલાના મુદ્દે ભાજપની ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક નિષ્ફળ, હવે દિલ્હી હાઈકમાન્ડ નિર્ણય કરશે
અમદાવાદઃ લોકસભાના રાજકોટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ યથાવત છે. બુધવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપુત ભવન ખાતે યોજાયેલી ભાજપની ક્ષત્રિય સમાજના કોર કમિટી સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર મક્કમ રહેતા હવે રૂપાલાની ટિકિટ રદ કરવી કે કેમ તેનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ કરશે, જો કે, ભાજપના પ્રદેશ નેતાઓ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય એવું કહી રહ્યા છે.
રાજપૂત સમાજ દ્વારા ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને સમાધાન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી, પણ રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. ભાજપ ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજની કોર કમિટી સાથેની બેઠક બાદ રાજપૂત સમાજ આગેવાનોએ જણાવ્યું હતું કે, રૂપાલાના બદલાવ સિવાય અમને કઈ નહીં ચાલે. ફક્ત ગુજરાતનો નહીં પણ ભારત દેશનો ક્ષત્રિય સમાજ રૂપાલાને નહીં સ્વીકારે. ભાજપ ઉમેદવાર બદલે એનાથી ઓછું અમને નહીં ચાલે. જે નૈતિક અધઃપતન થયું એ સ્વીકાર્યું નથી. અમે તમામ સમાજને આહવાન કરીએ છીએ કે દેશનું જાહેર જીવન જળવાય. આઝાદી પહેલાના અને આઝાદી સમયના બલિદાનનું અપમાન સ્વીકાર્ય નથી. અમે ભાજપ આગેવાનો સાથે શાંતિપૂર્ણ વાત કરી છે, અમારી માંગણી એક જ છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે એમ કહ્યું છે. ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. એ અમને મંજૂર નથી, એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે.
કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અમારી સમક્ષ રજૂઆત કરી હતી કે પુરુષોત્તમ રૂપાલાએ ત્રણવાર માફી માગી છે. ક્ષમા આપવામાં માનનારો આ સમાજ છે. ભૂતકાળમાં પણ માફી માગી છે. અમે તેમના વતી અપીલ કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ આપવામાં આવે એ અભિપ્રાય બદલવા સમાજને જણાવ્યું હતું. અમે ભાજપની વાત સાંભળી હતી. અમે એક જ રજૂઆત કરી હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ઉમેદવારી રદ કરવામાં આવે. જ્યાં સુધી તેમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ રહેશે.