બંગાળના ગઢમાં ભાજપની રણનીતિ: અમિત શાહની RSS સાથે મેરેથોન બેઠક
કોલકાતા, 31 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. કોલકાતાની મુલાકાતે આવેલા શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનની મજબૂતી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
કોલકાતાની હોટલ તાજ તાલ કુટીરમાં યોજાયેલી આ બેઠકમાં RSS ના અખિલ ભારતીય, ક્ષેત્રીય અને પ્રાંત સ્તરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બંગાળની જમીની હકીકત, ક્ષેત્રવાર સ્થાનિક મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓ માટેના રોડમેપ અંગે વિગતવાર રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
RSS સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળની જનતાને અપીલ કરતા કહ્યું કે, “તમે એકવાર ભાજપને તક આપો, અમે રાજ્યમાં પ્રવર્તતા ડર, ભ્રષ્ટાચાર અને કુશાસનને બદલીને ‘સુશાસન’ સ્થાપિત કરીશું.” શાહે આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે 2026 માં પશ્ચિમ બંગાળમાં ભાજપની બહુમતીવાળી સરકાર બનશે.


