મકરસંક્રાતિની દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રીતે થાય છે ઉજવણી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં પતંગપ્રેમીઓ પતંગ ચલાવી તથા શીરડી અને ચીક્કી આરોગીને આ પર્વની ઉજવણી કરે છે. જ્યારે દેશના જુદા-જુદા પ્રાંતમા આ તહેવારને જુદી-જુદી રીતે ઉજવવામા આવે છે. દરેક રાજ્યમા તેનું નામ તેમજ તેની ઉજવણીની રીત જુદી-જુદી હોય છે. ભારતીય પુરાણો પ્રમાણે ઉત્તરાયણ ઉપર દાન-પુણ્યનું વિશેષ મહત્વ છે. જેથી જેથી આ દિવસે લોકો જરૂરીયાતમંદ લોકોને દાન કરવાનું પસંદ કરે છે.
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કેરલ તેમજ કર્ણાટકમાં તેને માત્ર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ તમિલનાડુમાં તેને પોંગલના રૂપે ઉજવવામાં આવે છે. પંજાબ તેમજ હરિયાણામાં આ સમયે નવી પાકની ઉજવણી રૂપે સંક્રાંતિના એક દિવસ પહેલા લોહરી તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વી ક્ષેત્ર આસામમાં તેને બિહૂ તરીકે ઉજવાય છે. દરેક પ્રાંતમાં ઉત્તરાયણના નામ અને ઉજવણીની રીતભાત જુદી છે તેમ જુદા-જુદા પ્રાંત મુજબ આ દિવસે જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં દાળ તેમજ ભાતના મિશ્રણથી બનાવેલ ખીચડી આ તહેવારની ખાસ ઓળખ મનાય છે.
આ ખીચડી સિવાય મોટેભાગે તલ, મમરા તેમજ ગોળથી બનાવેલ લાડૂ બનાવામાં આવે છે. આવી વાનગીઓ બનાવી એક-બીજા ન ભેટ રૂપે પણ આપવાનો એક રીવાજ આ પ્રાંતોમાં વધુ પ્રચલિત છે. ભારતના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળમાં દહીં-ચૂડા તેમજ તલની બનેલી વાનગીઓ ખાવાની તેમજ ખવડાવવાની રીત સદીઓથી ચાલી આવે છે.