- સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026 – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે, તેમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 21 થી 23 એપ્રિલ, 2026 દરમિયાન જર્મનીની સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન રક્ષામંત્રી જર્મન સંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ અને સરકારના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે.
શ્રી રાજનાથસિંહની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણને મજબૂત કરવા અને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન જેવા ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ચર્ચા કેન્દ્રિત રહેશે. બંને સંરક્ષણ મંત્રીઓની હાજરીમાં સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ રોડમેપ અને યુએન પીસકીપીંગ ઓપરેશન ટ્રેનિંગમાં સહકાર માટે અમલીકરણ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
આ મુલાકાત પ્રવર્તમાન સંરક્ષણ સહયોગ પહેલની સમીક્ષા કરવાની અને બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ માટે નવા માર્ગો ઓળખવાની તક પૂરી પાડશે. શ્રી રાજનાથ સિંહ ‘મેક-ઇન-ઇન્ડિયા’ પહેલ હેઠળ સંયુક્ત વિકાસ અને સહ-ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી જર્મન સંરક્ષણ ઉદ્યોગના મુખ્ય પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરે તેવી અપેક્ષા છે.
રક્ષામંત્રીની આ મુલાકાત સાત વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. ભારતીય સંરક્ષણ મંત્રી દ્વારા જર્મનીની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી 2019માં શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી હતી. શ્રી બોરિસ પિસ્ટોરિયસએ જૂન 2023માં ભારતની મુલાકાત લીધી હતી અને શ્રી રાજનાથ સિંહ સાથે વ્યાપક મંત્રણા કરી હતી.
ભારત અને જર્મની લોકશાહી મૂલ્યો, કાયદાનું શાસન અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં સુનિશ્ચિત, મજબૂત અને બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. તાજેતરના વર્ષોમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગ આ ભાગીદારીના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યો છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનો છે.


