ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી
અમદાવાદઃ સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી અર્પી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ કર્મચારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્કુલોમાં સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તિરંગો લહેરાવીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.