Site icon Revoi.in

પહેલગામ આતંકવાદીની ‘નિષ્પક્ષ તપાસ’ની પાકિસ્તાનની માંગણીને ચીનનું સમર્થન

Social Share

નવી દિલ્હીઃ ચીને પહેલગામ આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને સમર્થન આપ્યું છે. પાકિસ્તાન તરફથી પણ આ મુદ્દા પર સતત દલીલો રજૂ કરવામાં આવી રહી છે. તેમની માંગ છે કે તેની તપાસ ભારત-પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ત્રીજા પક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરાવવી જોઈએ. 22 એપ્રિલ 2025ના રોજ, પહેલગામની બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા હતા.

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી અને પોતાનો ટેકો આપ્યો. રિપોર્ટ અનુસાર, કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદી હુમલા બાદ ચીન પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને નિષ્પક્ષ તપાસની વહેલી શરૂઆતને સમર્થન આપે છે. તેમને આશા છે કે બંને પક્ષો સંયમ રાખશે, એકબીજા તરફ આગળ વધશે અને તણાવ ઘટાડવા માટે કામ કરશે.

વાંગે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ બધા દેશોની સામાન્ય જવાબદારી છે અને ચીન સતત પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કાર્યવાહીનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે એક મજબૂત મિત્ર અને સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર તરીકે, ચીન પાકિસ્તાનની કાયદેસર સુરક્ષા ચિંતાઓને સંપૂર્ણપણે સમજે છે અને તેના સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવાના તેના પ્રયાસોને સમર્થન આપે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે ઇશાક ડારે વાંગ યીને વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ વિશે માહિતી આપી. ડારે ચીનના સતત અને અટલ સમર્થનની પ્રશંસા કરી અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતાની નોંધ લીધી. ચીન તરફથી આ સમર્થન શાહબાઝ શરીફના તે નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની ‘સ્વતંત્ર તપાસ’ અથવા નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ કહી ચૂક્યા છે કે આ બંને દેશો વચ્ચેનો મામલો છે અને તેમનો આ મામલે દખલ કરવાનો કોઈ ઇરાદો નથી.