
ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનઃ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ થયો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારી વચ્ચે કોવિડ-19ની રસીના મામલે ગુજરાત સમગ્ર દેશમાં 8માં ક્રમે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 16 લાખથી વધારે ડોઝનો બગાડ થયો છે.
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બગાડ થયેલી રસીના ડોઝના આંકડા જાહેર કર્યા હતા. જેમાં કોવિશીલ્ડ રસીના બાતલ ડોઝ સામેલ નથી. રસીના બગાડ મામલે ગુજરાત દેશમાં આઠમા ક્રમે છે. સૌથી વધુ મધ્યપ્રદેશમાં 16 . 47 લાખ , ઉત્તર પ્રદેશમાં 12 . 60 લાખ અને રાજસ્થાનમાં 6 . 86 લાખ ડોઝનો બગાડ થયો છે. કેન્દ્ર સરકારે રસીનો બગાડ ન થાય તે માટે રાજ્યોને સૂચના આપી છે. બીજી તરફ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ 9. 95 લાખ રસી ખરીદી હતી. જેમાં 9 . 55 લાખ કોવિશીલ્ડ અને 40 હજારથી વધુ કો – વેકિસનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.63 કરોડથી વધારે લોકોને પ્રથમ ડોઝ અને 3.89 કરોડને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતાની સાથે જ રસીકરણ અભિયાનને ફરી એકવાર વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ રસી લેવાથી વંચિત રહી ગયેલા લોકોને રસી આપવા માટે આયોજન ગોઠવવામાં આવ્યું છે.