અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ત્રીજી લહેર પહેલા જ 100 ટકા રસીકરણ કરવાનું આયોજન હોવાથી મેગાડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 81 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. બીજી તરફ કોરોનાની રસીના આઠેક લાખ જેટલા ડોઝ બગડ્યાં હોવાનું જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ પૂછેલા પ્રશ્નના લેખીત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી જુલાઈ 2021 દરમિયાન કેન્દ્ર સરકારે 3.19 કરોડ ડોઝ રાજ્યને આપ્યા. રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધીમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી. રસીનો વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે. આ વર્ષના 7 મહિનામાં કુલ 8,33,466 રસીના ડોઝનો બગાડ થયો છે. જેમાં જાન્યુઆરી 2021થી જુલાઈ સુધીમાં કોવિશિલ્ડના 5,13,761 રસીના ડોઝ બગડ્યા અને કોવેક્સિનના 3,19,705 ડોઝ રસીના ફેલ ગયા છે. આ વર્ષના જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 3,19,54,590 રસીના ડોઝ મળ્યા છે અને સાત મહિનામાં 3,32,65,975 ડોઝ લોકોને આપવામાં આવ્યાં છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1195218 લોકોને કોવિશીલ્ડ, 95951 લોકોને કોવેક્સિનની રસી આપવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં બાળકોની રસી માટે હાલ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. આ ઉપરાંત 18 વર્ષથી ઉંમરના લોકો રસી મેળવીને કોરોના સામે સુરક્ષિત બને તે માટે મેગાડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.