
ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા પરપ્રાંતિય શ્રમિકોને અપાશે કોરોના રસી
- રસીકરણ અભિયાન બન્યું વધારે વેગવંતુ
- 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણ અભિયાન
- રોજના 2 લાખથી વધારે લોકોને રસી આપવાનો લક્ષ્યાંક
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસવાટ કરતા શ્રમજીવીઓ અને તેમના પરિવારને પણ રસીકરણમાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ અંગે જિલ્લા કલેકટરો અને મનપાના કમિશનરોને સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હોસ્પિટલ સહિત 2500 કેન્દ્રો ઉપર કોરોનાની રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેમજ દરરોજ બે લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. હવે રાજ્યમાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ અને ભીક્ષુકગૃહમાં રહેતા લોકોને પણ આધારકાર્ડ વિના રસી આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. બીજી તરફ રોજગારીની શોધમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો વસવાટ કરે છે. આ પરપ્રાંતિય શ્રમિકો અને તેમના પરિવારને પણ કોરોનાની રસીકરણ ઝુંબેશમાં આવરી લેવાનો સરકારે નિર્ણય લીધો છે. તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.
સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.