Site icon Revoi.in

વલ્લભીપુરમાં સ્માર્ટ મીટર લગાવતા PGVCLના કર્મચારીઓ પર હુમલો

Social Share

ભાવનગર, 9 ઓગસ્ટ, 2026 : PGVCL employees attacked while installing smart meters જિલ્લામાં પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના વલ્લભીપુરમાં પીજીવીસીએલના આસિ. ઈલેક્ટ્રિશિયન અને કોન્ટ્રાક્ટ કર્મચારી પર સ્માર્ટ મીટર કેમ લગાવ્યું કહીને લાકડી અને પાઈપ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના વલ્લભીપુરમાં આવેલી ‘માનસ કન્યા શાળા’ ખાતે કામ કરી રહેલા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન અને કોન્ટ્રાક્ટ કર્મચારી પર એક દંપતીએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. પોતાના ઘરમાં સ્માર્ટ મીટર કેમ લગાવ્યું તેમ કહીને સ્થાનિક રહેવાસી કિશોર મોરી અને તેની પત્નીએ સરકારી ફરજમાં રૂકાવટ કરી કર્મચારીઓને મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. વલ્લભીપુર પોલીસ મથકમાં દંપતી સામે ગુનો દાખલ કરાયો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ભાવનગરના લક્ષ્મીનગર-2માં રહેતા અને PGVCLમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય સુરેશભાઈ ડાયાભાઈ જોશી તથા કોન્ટ્રાક્ટ કર્મચારી શિવાંગભાઈ પરમાર બપોરના 1.30 વાગ્યાના અરસામાં શાળા પરિસરમાં કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ભરવાડ શેરીમાં રહેતા કિશોર ભગવાનભાઈ મોરી અને તેની પત્ની લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા અંગે વિરોધ દર્શાવી બોલાચાલી કરી હતી. કર્મચારીઓએ સરકારના નિયમાનુસાર સ્માર્ટ મીટર લગાડ્યું હોવાનું સ્પષ્ટ કરતાં દંપતીએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ લાકડી અને પાઇપ વડે બંને કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો.  આ ઘટના અંગે સુરેશભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે આરોપી દંપતી સામે BNS એક્ટની કલમ 54, 115(2), 221, 121, 352 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version