અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. તેમ છતાં રાતના સમયે બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો છે. એસજી હાઈવે-સોલા બ્રિજ પર મોડી રાતે કારચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ એનિવર્સરી ઊજવીને સ્કુટર પર સવાર થઈને દંપતી પરત ફરી રહ્યું હતું ત્યારે કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની ટક્કરથી સ્કુટરસવાર દંપતી ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પડ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. એસજી હાઇવે પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના એસજી હાઈવે પરના સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી સ્કુટર પર પસાર થતા હતા. એ સમયે પૂરઝડપે આવી રહેલી કારેસ્કુટરને જોરદાર ટક્કર મારતી સ્કુટરસવાર દંપતી ફંગોળાઈને બ્રિજ પરથી નીચે પટકાતાં પતિ-પત્ની બન્નેના મોત નિપજ્યા હતા. મૃતક દંપતીના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને એની મંથ એનિવર્સરીની ઊજવણી માટે બહાર ગયાં હતાં. એ સમયે પરત ઘરે ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જનારી કારની ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મુકી તરત ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે.