Site icon Revoi.in

ચોટિલામાં ડુંગરના તળેટીમાં ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ

Social Share

 સુરેન્દ્રનગર,13 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર દબાણો હટાવવા છેલ્લા ચાર દિવસથી ઝૂંબેશ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના પરિણામે, માતાજીના ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ, જે અગાઉ દબાણોને કારણે સાંકડો હતો, તે હવે 40 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે. આનાથી મંદિરે આવતા લાખો દર્શનાર્થીઓને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળશે. અગાઉ તહેવારો અને રવિવારે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

ચોટિલામાં ડૂંગરના તળેટી વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણો હટાવતા પહેલા દબાણકારોને સ્વૈચ્છાએ દબાણો દુર કરવા સુચના આપવામાં આવી હતી. છતાં પણ દબાણો દૂર ન કરાતા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર હોટલો અને ગેસ્ટ હાઉસ પણ બનાવી દેવામાં આવ્યા હતા. તેને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તંત્રના સર્વેમાં હજુ પણ તળેટી વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દુકાનો અને પાકા બાંધકામો હોવાનું બહાર આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દબાણો પર જેસીબી ફેરવવામાં આવી રહ્યું હોવાથી બાકી રહેલા દબાણકારોમાં ભયનો માહોલ છે.

ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે સ્પષ્ટ કર્યું છે કે યાત્રાધામની સુવિધા અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સરકારી જમીન પરના તમામ દબાણો હટાવવાની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાધામ ચોટીલાનો કાયાકલ્પ કરવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓ આવકારી રહ્યા છે.

Exit mobile version