અમદાવાદમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસ વધ્યા, લોકોએ સતર્ક થવાની જરૂર
- અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ વધ્યા
- સાથે ચિકનગુનિયાના કેસ પણ વધ્યા
- ડેન્ગ્યુના 170 કેસ, ચિકનગુનિયાના 69
અમદાવાદ શહેરમાં લોકોએ સતર્કતા રાખવાની જરૂર છે, કોરોનાથી તો હવે શહેરને રાહત મળી રહી છે, પરંતુ ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.જેના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે.
જાણકારી અનુસાર ચાલુ માસ દરમિયાન પણ 10 દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધ્યા છે.ડેન્ગ્યુના કેસમાં પણ નોંધપાત્ર વધારો યથાવત છે.9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે .
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં દસ મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે.વર્ષ 2021ના માત્ર ઓક્ટોબર માસ દરમિયાન જ સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે. અમદાવાદમાં વકરતા રોગચાળાને લઇને કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે.ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોને કાબૂમાં લાવવા સઘન સફાઇ કરવા આદેશ આપવામાં આવ્યા છે.પાણી ભરાતા હોય તેવી જગ્યાએ, ભંગાર અને ટાયરની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.
જો કે લોકો દ્વારા પણ સતર્કતા રાખવામાં આવે તો ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, લોકોએ સતત પોતાની આસપાસ સાફ સફાઈને જાળવી રાખવી પડશે. તંત્ર દ્વારા આ ઉપરાંત દરેક વોર્ડમાં દરરોજ પાણીના બે સેમ્પલ લેવા સૂચના અપાઇ છે.