સુરતઃ ગુજરાતમાં સરકારી તંત્રની એવી લાપરવાહી કે નિષ્ક્રિયતા હોય છે. કે, મકાનો, બ્રિજ કે કોઈ પબ્લિક પ્રોપર્ટી બનાવ્યા બાદ તેના લોકાર્પણના અભાવે મિલ્કતો ખંડેર જેવી બની જતી હોય છે. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો તૈયાર થઈ ગયા છે. એટલું જ નહીં સાત વર્ષ પહેલા મકાનોના એલોટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવ્યા છે. છતાં જેમને મકાનો ફાળવ્યા તેમને મકાનોનો કબજો આપવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં વર્ષ 2016-17માં અલોટ ફ્લેટોનો કબજો લાભાર્થીઓને 5 વર્ષ બાદ પણ મળ્યો નથી. જેને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે લાભાર્થીઓ ભેગા મળીને ગુજરાત હાઉસિંગ બોર્ડને રજૂઆત કરી હતી. જેમને એલોટમેન્ટ લેટર આપાયા છે. એવા લાભાર્થીઓના કહેવા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સુરત શહેરના જહાંગીરાબાદ વીર સાવરકરની બાજુમાં વર્ષ 2016-17માં અલોટ મકાનો (ફ્લેટ) ફાળવ્યા છે. હાઉસિંગ બોર્ડના નિયમ અનુસાર લાભાર્થીઓને વર્ષ 2022 દરમિયાન મકાન આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વર્ષ 2023 શરુ થયા અને ત્રણ મહિના પણ વીતી ગયા હોવા છતાં લાભાર્થીઓને મકાનનો કબજો આપવામાં આવ્યો નથી. આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ યોજનાના અન્ય લાભાર્થીઓના કહેવા મુજબ વર્ષ 2023 શરુ થયા છતાં મકાનનો કબજો મળ્યો નથી. આ અંગે અરજદારોને ઘણી તકલીફો પડી રહી છે. અમે આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને અનેક રજૂઆત કરી છે, પરંતુ અમને સંતોષકારક જવાબ મળતો નથી. લાભાર્થીઓએ મકાનનો કબજો ન મળવાથી ઘણી તકલીફો પડી રહી છે. છોકરાઓના એડમીશનને લઈને તકલીફ પડી રહી છે. લાંબા સમયથી ભાડા ભરી રહ્યા છે, તેમજ ભાડાના મકાન ખાલી કરવા પડે છે, જેમાં હેરાનગતી થઇ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમ પ્રમાણે અરજી પત્રક સબસીડી મળવા બાબતે પણ રજૂઆત કરી છે.