અસહ્ય મોંઘવારીમાં સરકારે LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરી લોકોને ડામ આપ્યો છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ એક તરફ વધતી જતી મોંઘવારીથી જનતા પીડા અનુભવી રહી છે. બીજી બાજુ સતત ઘટતી આવક અને ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સિનીયર સિટીઝન પરિવારો માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરીને જનતાને મોંઘવારીનો ડામ આપ્યો છે. તેમ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને મીડીયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. 2014માં 400 રૂપિયાનો બાટલો આજે 800 રૂ. જેટલી વસૂલાત થઈ રહી છે. મહિલાઓને મોંઘવારીની ભેટ આપતી ભાજપ સરકારમાં જીત પછી અહંકાર, નિરંકુશતા અને મોંઘવારીના દિવસોના લીધે દેશની અને રાજ્યની જનતા સામનો કરી રહી છે. તહેવાર ટાણે જ મોંઘવારીનો બુસ્ટર ડોઝ પેટે વધુ એક વાર એલ.પી.જી. સીલેન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝીકવામાં આવ્યો છે. “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવીને ભાજપના શાસનમાં મોંઘવારી આસમાને પહોંચી છે, ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ છે.
તેમણે ઉમેર્યુ હતું કે, વર્ષ 2014-15 થી વર્ષ 2022-23ના નવ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 30 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી છે, લૂંટ ચલાવાઈ છે. દૂધ. દહી. છાસ. શાકભાજીના આસમાનને આંબતા ભાવથી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે. બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની નીતિના લીધે બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે.