TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર ઈંડાં ફેંકાયાં, ચોર-ચોરના સૂત્રો પોકારાયા, જુઓ વીડિયો
કોલકાતા, 30 મે 2026 – પશ્ચિમ બંગાળમાં TMC ઉપર હજુ કેટલી નારાજગી છે તેનાં વરવાં દૃશ્યો આજે જોવા મળ્યાં હતાં. TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર આજે ઈંડાં ફેંકાયાં હતા અને લોકોએ ચોર-ચોરના સૂત્રો સાથે તેમને ઘેરી લેતાં થોડા સમય માટે સ્થિતિ કફોડી થઈ ગઈ હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લાના સોનારપુરમાં અચાનક ઉશ્કેરાયેલી ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભીડ દ્વારા તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા, તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી તેમજ મારપીટ પણ કરવામાં આવી હતી.
પક્ષના કાર્યકરના નિધન અંગે શોક વ્યક્ત કરવા ગયા હતા
વાસ્તવમાં, સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરનું નિધન થયું હતું. અભિષેક બેનર્જી પીડિત પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. તેઓ ત્યાં પહોંચતાની સાથે જ લોકોને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભીડે તેમને ચારેય તરફથી ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ તેમના વિરુદ્ધ ‘ચોર-ચોર’ ના જોરદાર નારા લગાવ્યા હતા અને તેમના પર ઇંડા ફેંકવાનું શરૂ કરી દીધું હતું.
અહેવાલો અનુસાર, અભિષેક બેનર્જી બાઇક પર સવાર થઈને ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ લોકોએ રસ્તો રોકીને તેમને ઘેરી લીધા હતા, જેના કારણે તેમણે પગપાળા જ કાર્યકરના ઘર સુધી પહોંચવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ વિરોધી કેજરીવાલના આક્ષેપનો પર્દાફાશ, જુઓ વીડિયો
અભિષેક બેનર્જીની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક સતર્કતા દાખવીને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સૌપ્રથમ હેલ્મેટ પહેરાવ્યું હતું અને ત્યારબાદ તેમને ઘેરીને સલામત રીતે બહાર લઈ ગયા હતા. ટીએમસીના આ મોટા નેતા પર થયેલા આ પ્રકારના અણધાર્યા હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ અને ઉત્તેજનાભરી સ્થિતિ પેદા થઈ ગઈ છે.
જુઓ વીડિયોઃ
ટીએમસી (TMC) સાંસદ અભિષેક બેનર્જી સાથે બનેલી આ સમગ્ર ઘટના સોનારપુરના કમરાબાદ વિસ્તારની છે. જ્યાં તેઓ પોતાના નિર્ધારિત સમય મુજબ આશરે સાડા ચાર (4:30) વાગ્યે પહોંચ્યા હતા, પરંતુ રસ્તામાં જ ઉશ્કેરાયેલી ભીડે તેમને ઘેરી લીધા હતા. આ ભીડમાં મહિલાઓ પણ હતી, જેમના હાથમાં કાચા ઇંડા હતા. આ મહિલાઓએ અભિષેક બેનર્જી પર કાચા ઇંડા ફેંક્યા હતા, ત્યારબાદ ભીડે તેમનો કુર્તો ફાડી નાખ્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.
અભિષેક બેનર્જીએ ભાજપ પર કર્યા આક્ષેપો
આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા અભિષેક બેનર્જીએ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “મારા કપડાં ફાડી નાખવામાં આવ્યા, મને મુક્કા મારવામાં આવ્યા અને મારી છાતી પર પણ પ્રહાર કરાયો. તેઓ મારા શરીર પર હુમલો કરી શકે છે, પરંતુ મારા વિચારો પર નહીં. હું તેમનાથી ઝૂકવાનો નથી અને હું બિલકુલ ડરવાનો પણ નથી. ભાજપ મારો જીવ લેવા માંગે છે.”
આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


