Site icon Revoi.in

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ

Social Share

ગાંધીનગર, 1 જુન,2026 : Filing of nomination papers for 4 Rajya Sabha seats ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ થયો છે. ઉમેદવારો 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ધારાસભ્યોની સંખ્યા જોતા ચારેય બેઠકો પર ભાજપનો આસાનીથી વિજ્ય થશે. પણ હજુ ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. બે ચાર દિવસમાં ભાજપ દ્વારા ચારેય ઉમેદવારોની વિધિવત જાહેરાત કરવામાં આવશે. ભાજપ પાસે 161 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે. જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ઊભા રાખવામાં નહીં આવે તો ભાજપના ફાળે ચારેય બેઠકો બિન હરિફ બનશે.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થયો છે. અને આગામી 8મી જુન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આ સ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યની રચના બાદ પહેલીવાર રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થવાની શક્યતા ઊભી થઈ છે. હાલ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાંથી રાજ્યસભાના એકમાત્ર સભ્ય છે અને તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ મુકુલ વાસનિક હાલમાં ગુજરાતમાં છે અને મહેસાણામાં જિલ્લા તથા શહેર કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, છતાં ચૂંટણી લડવી કે નહીં અને ઉમેદવાર ઉતારવો કે નહીં તે અંગે આગામી બે દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઉમેદવારી નોંધાવવામાં આવશે નહીં. ભાજપના પક્ષે ચૂંટણીનું પરિણામ લગભગ નક્કી હોવાનું માનવામાં આવે છે ત્યારે હવે રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા ભાજપ કોને રાજ્યસભામાં મોકલે છે તેની છે. પાર્ટી માટે આ ચૂંટણી માત્ર ચાર બેઠકો જીતવાની નહીં પરંતુ પ્રદેશીય અને સામાજિક સંતુલન સાધવાની તક પણ બની છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિત્વ સાથે પાટીદાર, ઓબીસી, આદિવાસી અને અન્ય પ્રભાવશાળી સમાજોના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી થઈ શકે છે.

Exit mobile version