ચેન્નાઈની હોસ્પિટલમાં આગની ઘટના, જાનહાની ટળી
બેંગ્લોરઃ દક્ષિણ ભારતના ચેન્નઈમાં આવેલી રાજીવ ગાંધી હોસ્પિટલમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગ હોસ્પ્ટલની જુની ઈમારતમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કાણ જાણી શકાયું નથી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
હોસ્પિટલના પ્રિન્સિપાલ સેક્રેટરીએ જણાવ્યું હતું, આગની ઘટનાને પગલે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા. આ દૂર્ઘટના હોસ્પિટલની જૂની ઈમારતમાં બની હતી. નવી ઈમારતના ત્રણેય બ્લોક સલામત છે અને સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. હોસ્પિટલમાં આગની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. હોસ્પિટલમાં આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભય ફેલાયો હતો.