અમદાવાદ, 24 મે, 2026 : Fishing banned for 61 days from June 1st ગુજરાતમાં 1600 કીમીનો દરિયા કિનારો આવેલો છે. તેથી માછીમારીના વ્યવસાય સાથે મોટી સંખ્યામાં માછીમારો સંકળાયેલા છે. ચોમાસાના આગમનને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આગામી તા. 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જળચર સંપત્તિના સંવર્ધન માટે આ 61 દિવસનો નિર્ણય લીધો છે. મત્સ્ય વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને જાણ કરવામાં આવી છે.
રાજ્યના મત્સ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન માછલીઓના પ્રજનન અને સંવર્ધનકાળને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ પશ્ચિમી દરિયાકાંઠા પર લાગુ પડશે. સરકારી જાહેરનામા મુજબ, આંતરરાષ્ટ્રીય અને જળ સીમા વિસ્તારમાં પણ માછીમારી પર કુલ 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પગલું દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા અને માછલીનો વંશવેલો વધારવા માટે જરૂરી માનવામાં આવે છે. આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન, યાંત્રિક બોટો, ટ્રોલર અને ઊંડા દરિયામાં જતાં મોટા જહાજોને દરિયામાં પ્રવેશવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
પોલીસ અને મત્સ્ય વિભાગ દ્વારા આ પ્રતિબંધનો કડક અમલ કરાવવામાં આવશે. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ માછીમાર કે બોટચાલક સરકારી આદેશનો ભંગ કરીને દરિયામાં જશે, તો તેમની સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા હેઠળ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં, તેમની બોટ પણ જપ્ત કરી લેવામાં આવશે.

