Site icon Revoi.in

ગુજરાત બોર્ડની ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે 19મી સુધી ફોર્મ ભરી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું સપ્તાહ પહેલા પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઈન ભરવાનો પ્રારંભ કરાયો છે, અને વિદ્યાર્થીઓ તા. 19મી સુધી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ એક કે વધુ વિષયમાં નાપાસ હોવાને કારણે અથવા પોતાનું પરિણામ સુધારવા ઈચ્છતા હોય પૂરક પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા માટેના આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. ટપાલ મારફત કે રૂબરૂ આવેદનપત્ર સ્વીકારાતા નથી. પૂરક પરીક્ષા માટેના ઓન લાઈન આવેદન અને ફી ભરવાની કામગીરી તારીખ 12 મેથી તારીખ 19 મે, સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન કરી શકાશે.

આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક કે વધુ વિષયમાં નાપાસ થયા હોય તે વિદ્યાર્થી અને પોતાના પરિણામને સુધારવા હોય તેવા વિદ્યાર્થી પૂરક પરીક્ષા માટે શાળાઓ મારફત બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઇન આવેદનપત્ર ભરવાના રહેશે અને આ પ્રક્રિયા રૂબરૂ કે ટપાલ મારફત કરી શકાશે નહીં. પૂરક પરીક્ષા માટે ના આવેદન તથા ફી ભરવાની કામગીરી તારીખ 12 મેથી 19 મે, સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઇન કરી શકાશે. આ બંને પૂરક પરીક્ષા માટે કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવા માટે મુક્તિ આપી છે. પરંતુ કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોએ આવેદનપત્ર ઓનલાઈન સબમીટ કરવું ફરજિયાત રહેશે.