1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત
આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

0
Social Share

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, આણંદ તાલુકાના નાવલી નજીક પુરપાટ ઝડપે પસાર થતી એક કારના ચાલકે પર આગળ જતા બે બાઇક અને સામેથી આવતા બે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જ્યારે, ચાર ને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ તાલુકાના વાંસખીલીયા ગામમાં રહેતાં 36 વર્ષીય અરવિંદભાઈ મનુભાઈ પરમાર અને તેમનો સાળો અરવિંદ ઉર્ફે પીન્ટો જીવાભાઈ જાદવ (રહે. જાદવપુરા, ચકલાસી, તા.ખેડા) રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં બાઈક લઈને દાવોલ ગામે જવા નીકળ્યાં હતાં. દરમિયાન અંધારીયા ચકલા ખાતે પીન્ટાના મિત્રો અન્નો અને સાગર (રહે.કણજરી) મળ્યાં હતાં. આ બંને જણાં પણ પોતાનું બાઈક લઈ અરવિંદ ઉર્ફે પિન્ટા સાથે દાવોલ જવા તૈયાર થયાં હતાં. આ ચારેય જણાં બે બાઈક લઈને નાવલી વાળા રસ્તે થઇ નાવલી ગામનું બસ સ્ટેન્ડ પસાર કરી આગળ દહેમી તરફ જતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે  અરવિંદ ઉર્ફે પિન્ટો અને તેના મિત્ર અન્નાની બાઈક ઉપરાંત સામેથી આવતી અન્ય બે બાઈકોને ટક્કર મારી હતી. ત્યારબાદ કારચાલક પોતાની કાર સ્થળ પર મુકી ભાગી ગયો હતો. કારની ટક્કર વાગવાથી આ ચારેય બાઈક પર સવાર આઠેય વ્યક્તિઓ ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ ઉર્ફે પિન્ટાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, પિન્ટાના બનેવી અને બે મિત્રો ઉપરાંત અન્ય બે બાઈક પર સવાર જતીનભાઈ, અંકિતાબેન, આયુષીબેન તેમજ એક અજાણ્યાં ઈસમને પણ વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. જેથી આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન જતીનભાઈ,અંકિતાબેન અને અજાણ્યાં ઈસમનું પણ મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત અરવિંદભાઈ પરમારની ફરિયાદને આધારે આણંદ રૂરલ પોલીસે અર્ટીગા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code