સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં વાહન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું ગામની કેનાલ પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ પાસે વહેલી સવારે વર્ના કાર પલટી ખાઇ જતાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. વહેલી સવારે અમદાવાદ રાણીપ ખાતેથી પરિવાર કારમાં સુરેન્દ્રનગર આવવા નીકળ્યો હતો અને લખતર નજીક આ અકસ્માત સર્જાયો હતો વર્ના કાર પલટી ખાઇ જતાં ઘટનાસ્થળે જ માથાના ભાગે તથા અન્ય શરીર ના ભાગે ઇજાઓ પહોંચતા ચાર લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. મરનારમાં પિતા-પુત્ર અને માતા-પુત્રીનો સમાવેશ થાય છે. લખતર નજીક કડું ગામ નજીક ડમ્પરની સાઇડ કાપવા જતા અચાનક વર્ના કાર પલટી ખાતાં અમદાવાદના એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. બે બાળકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે તેમની તબિયત પણ હાલમાં સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે . અકસ્માતના બનાવની જાણ થતા લખતર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ રાણીપ ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા કારમાં જઈ રહ્યા હતા તે સમયે કડુ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં સહોમભાઇ (ઉ.વ.37), કિર્તનભાઇ સહોમભાઇ (ઉ.વ.9), રીટાબેન જોશી (ઉ.વ.47), અંજલિબેન જોશી (ઉ.વ.23)નો સમાવેશ થાય છે.