
ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે
- દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે
- દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી ટેસ્ટની સાથે યોગ્ય સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હોસ્પિટલમાં પુરતી દવાનો સ્ટોક પણ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં કોવિડના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી શરદી-ખાંસી અને તાવની દવા લેનારા દર્દીઓની માહિતી સરકારને આપવી પડશે. જેથી તંત્ર દ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં તપાસ કરી શકાય. એટલું જ નહીં દર્દીની યોગ્ય સારવાર સાથે કોવિડ-19 ટેસ્ટીંગ પણ કરવામાં આવશે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવી શકાય. કોરોનાના કેસમાં વધારો થતા આગામી દિવસોમાં વધારે નિયંત્રણો નાખવામાં આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
(PHOTO-FILE)