ગો ફર્સ્ટએ 18 ઓગસ્ટ સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી
દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઈને 18 ઓગસ્ટ સુધી પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ફ્લાઈટ્સ રદ કરવા પાછળનું કારણ ઓપરેશનલ સમસ્યાઓને દર્શાવવામાં આવી છે.
કંપની દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે અમે અમારી ફ્લાઈટ્સ 18 ઓગસ્ટ સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાઇટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા અને એરલાઇનની કામગીરી ફરી શરૂ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. ફ્લાઇટ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે.
જુલાઈના અંતમાં DGCA એ ગ્રાઉન્ડેડ એરલાઈન GoFirstને 15 એરક્રાફ્ટ અને 114 દૈનિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી. એરલાઇનને એ પણ કહ્યું કે તે વચગાળાના ભંડોળની ઉપલબ્ધતા અને નિયમનકાર દ્વારા ફ્લાઇટ શેડ્યૂલની મંજૂરી સાથે કામગીરી શરૂ કરી શકે છે. એરલાઇનમાં લગભગ 4,200 કર્મચારીઓ છે અને નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની આવક રૂ. 4,183 કરોડ હતી.
GoFirst એરલાઇન દ્વારા નાણાકીય સંકટને કારણે 3 મેના રોજ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. ત્યારથી, કંપની સતત કામગીરી બંધ કરવાની તારીખ લંબાવી રહી છે.
અગાઉ 2 મેના રોજ, GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી હતી અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી માટે અરજી કરી હતી, જેમાં યુએસ સ્થિત એન્જિન નિર્માતા, પ્રેટ એન્ડ વ્હિટની તાત્કાલિક જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થતાના કારણે એરલાઇનની ખોટમાં જવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો..