
- ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર
- સરકારે લોન્ચ કરી સસ્તી દવા
- ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે
દિલ્હી:ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સરકારે શુક્રવારે ડાયાબિટીસની સસ્તી દવા સીટાગ્લિપ્ટિન અને તેના અન્ય ફોર્મ્યુલેશન બજારમાં લોન્ચ કર્યા છે.તેની 10 ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે અને આ દવા જેનરિક દવાની દુકાન જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે.
રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે,ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયાએ જનઔષધિ કેન્દ્રો પર સીટાગ્લિપ્ટિન અને તેના ફોર્મ્યુલેશનના નવા સંસ્કરણો લોન્ચ કર્યા છે.50 મિલિગ્રામ (એમજી) સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ધરાવતી દસ ગોળીઓ 60 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે 100 મિલિગ્રામની 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે, 50mg/500mg રેશિયોમાં સીટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ 65 રૂપિયા પ્રતિ 10 ટેબ્લેટમાં ઉપલબ્ધ થશે જ્યારે 50mg/1000mg મિશ્રણ 70 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
નિવેદનમાં જણાવાયું છે કે,આ તમામ વેરિઅન્ટ્સ બજારમાં ઉપલબ્ધ મુખ્ય ફાર્માસ્યુટિકલ દવાઓ કરતાં 60 થી 70 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે, બજારમાં મોટી કંપનીઓની દવાઓ 162 થી 258 રૂપિયા પ્રતિ 10 ટેબલેટના ભાવે વેચાઈ રહી છે.
મંત્રાલયે કહ્યું કે,પીએમબીઆઈના સીઈઓ રવિ દધિચે સીટાગ્લિપ્ટિન લોન્ચ કર્યું.આ દવા પ્રકાર 2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત દર્દીઓમાં સુગર નિયંત્રણને સુધારવા માટે આહાર અને કસરત સાથે મળીને કામ કરે છે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ દેશમાં 8700 જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ, સર્જીકલ સાધનો અને અન્ય આરોગ્ય ઉત્પાદનો પોસાય તેવા ભાવે પ્રદાન કરે છે.