રસપ્રદ કાર્યક્રમો અને સંવાદો સાથે ભારતકૂલ અધ્યાય–2નું ભવ્ય સમાપન
- પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જીવનને સાર્થક બનાવવાની ગહન માર્ગદર્શન આપ્યું
અમદાવાદ, 15 ડિસેમ્બર 2025: Grand conclusion of Bharatkool Chapter 2 ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની ઉજવણી રૂપે આયોજિત ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવનું ત્રીજા દિવસે ભવ્ય રીતે સમાપન થયું. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કલા, સાહિત્ય, સંગીત, આધ્યાત્મિકતા અને સંવાદ દ્વારા ભારતની સાંસ્કૃતિક ઓળખને વધુ સશક્ત અને જીવંત બનાવવાનો રહ્યો. પરંપરા અને આધુનિક વિચારધારાનો સુંદર સુમેળ દર્શાવતો આ ઉત્સવ હજારો દર્શકો માટે ભારતીયતાનો અનોખો અને સ્મરણિય અનુભવ બન્યો.
મહોત્સવના ત્રીજા દિવસે વિવિધ રસપ્રદ સંવાદો અને કાર્યક્રમો યોજાયા. શ્રી નીરેન ભટ્ટ અને શ્રી વિરેન દવે દ્વારા “સર્જનાત્મકતા અને સંસ્કાર ઘડતર” વિષય પર વિચારપ્રેરક ચર્ચા કરવામાં આવી.
“યાત્રાધામનો પ્રવાસ અને વિકાસ” વિષયક સંવાદ અંતર્ગત શ્રી રમેશ મેરજા, શ્રી લલિત ખંભાયતા, શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી અને કુ. ખુશાલી દવેએ મહત્વપૂર્ણ જાણકારી આપી.

આ ઉપરાંત શ્રી રામ મોરીએ સત્યભામાની કથા દ્વારા શ્રોતાઓને ધાર્મિક ભાવવિભોર કર્યા. “બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા” વિષય પર શ્રી મનીષ મહેતા, શ્રી મલ્હાર દવે, શ્રી કુમાર મનીષ, શ્રી વિવેક ભટ્ટ તથા ડો. દીપક મશરૂ દ્વારા રસપ્રદ અને અર્થપૂર્ણ ચર્ચા યોજાઈ.
“કલાકારો થકી સંસ્કાર નિર્માણ” વિષય અંતર્ગત શ્રી હિતુ કનોડિયા, શ્રીમતી મોના થીબા, શ્રી અરવિંદ વેગડા અને શ્રી હેતલ ઠક્કરે સમાજના ઘડતરમાં કલાકારોની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો.
“સનાતન સામેના સવાલો” વિષય પર જય વસાવડાએ તર્કસભર અને જડબેસલાક જવાબો આપી સનાતન પરંપરાની વિસ્તૃત ચર્ચા કરી. આ ઉપરાંત યોજાયેલા કવિયત્રી સંમેલનમાં શ્રીમતી દેવાંગી ભટ્ટ, જીજ્ઞા ભટ્ટ, છાયા ત્રિવેદી, ભાર્ગવી પંડ્યા અને સ્નેહલ નિમવાતે તેમની કાવ્યરચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
મહોત્સવ દરમિયાન દર્શકોએ ચિત્ર અને શિલ્પ પ્રદર્શનનો પણ ભરપૂર આનંદ માણ્યો. સાથે સાથે ‘રાગ’ અંતર્ગત યોજાયેલા રસપ્રદ વ્યાખ્યાનોને શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક સ્વીકાર્યા.

આ ભવ્ય ભારતકૂલ અધ્યાય–2ના પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ભારતકૂલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. “માનવજીવન એક ઉત્સવ કે આપત્તિ” વિષય પર પ્રવચન કરતાં મહારાજશ્રીએ જણાવ્યું હતું કે આપણે ઘણીવાર ધર્મ અને સંસ્કૃતિના મૂળ તત્ત્વોને સમજાવામાં અસમર્થ બની જઈએ છીએ, કારણ કે તેના પાયા સમજ્યા વિના વાત કરીએ છીએ.
ચાર પુરુષાર્થ — ધર્મ, અર્થ, કામ અને મોક્ષ — વિશે આજની કોલેજગોઇંગ યુવા પેઢીને પૂરતી સમજ નથી, જ્યારે આ પુરુષાર્થો આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાથી ઘડાયેલા છે. જીવનમાં પસંદગી કરવાની સ્વતંત્રતા આપણાં હાથમાં છે, પરંતુ મૂળ ઇષ્ટથી વિમુખ થવાથી આંતરિક સંતુલન ભંગ થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણી પ્રાર્થનાઓ ઈશ્વર સુધી પહોંચે જ છે, પરંતુ રૂઢિવાદિતાના કારણે જે આચરણ કરીએ છીએ તેના કારણો જો આપણને જાતે જ સમજાતા ન હોય તો આવનારી પેઢીને સમજાવવું અશક્ય બને છે.
ઈશ્વરને માત્ર મંત્ર, મૂર્તિ કે યંત્રમાં બાંધી દેવાથી આગળ વધી, જ્યારે તે વ્યક્તિગત આરાધનાનું કેન્દ્ર બને છે ત્યારે આત્માનું પરમાત્મા સાથેનું સત્ય મિલન શક્ય બને છે. ભારતીય વિચારધારાની વિશેષતા એ છે કે તે સકાર અને નિરાકાર બંને સ્વરૂપોને સ્વીકારે છે, જે સનાતન ધર્મનો આધાર છે. મહારાજશ્રીએ વધુમાં જણાવ્યું કે આજનું માનવજીવન શરીરિક, માનસિક, સામાજિક અને વૈચારિક આપત્તિઓથી સંઘર્ષ કરી રહ્યું છે અને ભોગવટાવાદ વધતા શરીરના રોગો પણ વધી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર સત્ય બે પ્રકારનું છે — વ્યક્તિગત સત્ય અને વૈશ્વિક સત્ય. સનાતન ધર્મનું અસ્તિત્વ માનવસર્જન પહેલા પણ પ્રકૃતિની આરાધનામાં રહેલું છે; તેથી નદી, પશુ, પક્ષી અને સમગ્ર પ્રકૃતિની પૂજા આપણા ધર્મનો અવિભાજ્ય ભાગ છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ છે — સંસ્કૃતિને સમજવા માટે ધર્મને સમજવો આવશ્યક છે. જેમ દેહ વસ્ત્ર ધારણ કરે છે તેમ આત્મા સંસ્કારો ધારણ કરે છે, અને એ સંસ્કારોનું નામ જ ધર્મ છે. સ્વીકાર, શરણાગતિ, સમર્પણ અને પારદર્શિતાના ભાવને સમજીને તેનું મૂલ્યાંકન કરવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
સમાપન પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરે મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો, વક્તાઓ, કલાકારો, પ્રાયોજકો તથા હાજર રહેલા તમામ દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવ ભારતીય સંસ્કૃતિ, વિચાર અને સંવાદના એક સશક્ત મંચ તરીકે યાદગાર રહ્યો.


