ગુજરાત કોંગ્રેસના નેતાએ જંતરમંતર ઘટના અંગે AI ફોટો શૅર કરીને છેડ્યો ગંભીર વિવાદ
રિવોઈ ન્યૂઝ, 24 જુલાઈ, 2026 – ગુજરાત કોંગ્રેસના એક નેતાએ નવી દિલ્હીમાં તાજેતરની જંતરમંતરની ઘટના અંગે AI ફોટો શૅર કરીને ગંભીર વિવાદને જન્મ આપ્યો છે.
મગાભાઈ પટેલ નામના કોંગ્રેસ નેતાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસના કથિત દમનનો એક બિભત્સ એડિટેડ ફોટો શૅર કરીને લખ્યું છે કે,
“આનાથી શરમજનક દ્રશ્યો તો કદાચ અંગ્રેજોના શાસનમાં પણ જોવા મળ્યા નહીં હોય.
આ સરકાર સંવેદનાહીન થઈ ગઈ છે. જો કોઈ એમના કામોનો વિરોધ કરશે તો તેને હિંદુ વિરોધી બતાવી દેવામાં આવશે.
શું આ બધા છાત્ર-છાત્રાઓ (વિદ્યાર્થીઓ) ગેર-હિંદુ હતા?”

થરાદના મગાભાઈ પટેલની આ પોસ્ટ ઉપર આ લખાય છે ત્યાં સુધીમાં 482 લાઈક્સ અને 213 કોમેન્ટ જોવા મળે છે. જોકે, કોમેન્ટમાં અનેક લોકોએ કહ્યું છે કે, આ AI જનરેટેડ ફોટો છે અને આવું કશું થયું નથી. કેટલાક જાગૃત લોકોએ ગુજરાત પોલીસ તેમજ દિલ્હી પોલીસને પણ પોસ્ટની નીચે ટૅગ કરીને પોલીસનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યા છે. તો વળી કેટલાક લોકોએ મગાભાઈને તેમની આવી ખોટી અને બિભત્સ પોસ્ટ ડીલીટ કરવા સલાહ પણ આપી છે.

એક તરફ નીટની પરીક્ષા અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ખાસ કરીને દિલ્હીમાં તણાવની સ્થિતિ છે ત્યારે કોંગ્રેસ નેતા દ્વારા શા માટે આવી પોસ્ટ કરવામાં આવી છે તે હજુ જાણી શકાયું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે પક્ષના સિનિયર નેતાઓની સલાહ બાદ મગાભાઈ તેમની પોસ્ટ ડીલીટ પણ કરી શકે છે. (દરમિયાન છેલ્લે મળતી જાણકારી મુજબ મગાભાઈએ તેમની આ વિવાદાસ્પદ પોસ્ટ ફેસબુક ઉપરથી ડીલીટ કરી દીધી છે.)


