Site icon Revoi.in

ગુજરાત સરકાર દ્વારા આયોજનબદ્ધ વિકાસકાર્યોને તત્કાલ મંજૂરી અપાય છેઃ મુખ્યમંત્રી

Social Share

રાજકોટ, 29 માર્ચ 2026: Inauguration of development works – Khat Mahurta મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ. ૭૫૧.૨૦ કરોડના ૪૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦૧૦ પરિવારોને આધુનિક સુવિધાસભર “ઘરના ઘર”ની ભેટ અપાઈ છે. આ સાથે રૂ. ૯.૭૮ કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું હતું.

રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ઈઝ ઓફ લિવિંગ” અને “અર્ન વેલ, લિવ વેલ”ની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. ૭૫૧.૨૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે છે.

નાગરિકોની સુખાકારી માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી નહીં રાખવામાં આવે તેવી ખાતરી આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર આયોજનબદ્ધ વિકાસ કાર્યોને ક્યારેય નામંજૂર નથી કરતી. આવા કાર્યોના આયોજનો તત્કાલ મંજૂર કરી દેવામાં આવે છે. આ તકે તેમણે થઈ રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.

દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનો સંકલ્પ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત’ માટે દેશના સામાન્ય માણસને મુખ્ય ધારામાં લાવવો જરૂરી છે અને તેના માટે જ રાજ્યમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને રિજનલ સ્તરે લઈ જવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સરકારના વડા તરીકે શાસનકાળના ૮૯૩૧ દિવસ પૂર્ણ કર્યા છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈની જનપ્રતિનિધિ તરીકેની યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ હતી અને રાજકોટથી શરૂ થયેલો આ રેકોર્ડ આજે સતત આગળ વધી રહ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય માનવીના કલ્યાણના મંત્ર સાથે કામ કરતા  નરેન્દ્ર મોદી ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યા છે. આજે પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટી રૂ. ૧૩થી ઘટાડીને રૂ. ૩ અને ડીઝલમાં એક્સાઇઝ શૂન્ય કરી નાખવામાં આવી છે. વિશ્વમાં જ્યારે પણ સંકટ ઊભું થયું, ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ હિંમતપૂર્વક નિર્ણયો લીધા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાનું ‘ઘરનું ઘર’ હોય. આ સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આજે રાજકોટમાં આવાસ યોજનાના માધ્યમથી એક હજારથી વધુ પરિવારોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે.

Exit mobile version