અમદાવાદ, 4 મે 2026: Heatwave continues ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમી સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ઉકળાટે લોકોને અકળાવી દીધા હતા. જે કે છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સૂત્રોના કહેવા મુજબ કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં તાપમાનનું મોજુ યથાવત રહ્યું છે. સુરેન્દ્રનગરમાં આજે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં સરેરાશ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. આવતી કાલે 5મી મેના રોજ અમદાવાદમાં આકાશ વાદળછાંયુ રહેવાની શક્યતા છે. અને તાપમાન 41 ડિગ્રીએ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજે દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની આસપાસ ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે એવી કોઈપણ પ્રકારની સંભાવના નથી તેમજ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. કેટલાક શહેરમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

