1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે
રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે

રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે શુક્રવારે બપોર બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ બે કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવશે. હવે માત્ર રૂપાલા જ નહીં ભાજપનો વિરોધ કરાશે.

રાજકોટની લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડવા માટે ગોતા ખાતે બેઠક યોજાઈ. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી. જેથી હવે ગુજરાતભરમાં પરશોત્તમ રૂપાલાની વિરોધમાં પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાને માફી આપવા માટે ક્ષત્રિયો તૈયાર નથી.

રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે 14 તારીખે સંમેલનમમાં અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નથી, જેથી હવે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. રાજપુત સંકલન સમિતિ પહેલાં કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની બેઠકના મુદ્દાને સંકલન સમિતિએ બહાલી આપી હતી. ત્યારબાદ રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. ક્ષત્રિયો હવે શનિવારથી દરેક જિલ્લા મથક પર માતા, બહેન, દીકરીઓ પ્રતીક ઉપવાસ કરશે. સતત સાત મે સુધી એક દિવસના પ્રતીક ઉપવાસ ચાલશે. રોજ 21 બહેનો ઉપવાસ કરે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. કરણસિંહ ચાવડાએ કહ્યું કે કમિશનરના કાળા વાવટા ન ફરકાવવાના જાહેરનામા સામે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. કેસરીયો એટલે ક્ષત્રિયનો રંગ છે. પરંતુ હવે કેસરીયા ધ્વજમાં રામજીના ફોટો સાથે ભાજપનો વિરોધ કરશે. પ્રચાર માટે ભાજપને ઘૂસવા નહી દેવાય. આ સિવાય પાંચ ઝોનમાંથી ક્ષત્રિય સમાજ રથ કાઢશે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી ધર્મરથ નિકળશે. 22 એપ્રિલથી ધર્મ રથની શરૂઆત થશે. સંઘર્ષ લાંબો ચાલવાનો હોવાથી લીગલ સમિતિ પણ બનાવવામાં આવશે. આઠ બેઠક પર અમે નિર્ણાયક હોઈ તેમને કાંટાની ટક્કર આપીશું. પાંચ લાખની લીડની વાત ભુલી જાય અને કાંટાની ટક્કર પર લાવી દઇશું.

સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે પણ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી લોકશાહી ઢબે લડ્યા અમારી વાત ઉચ્ચસ્તરે પહોંચાડી હતી. અમારી અસ્મિતા પર જે લાંછન લગાડ્યું તે અંગે પાર્ટી નિર્ણય લેશે એવી અમને આશા હતી. જો કે કોઇ ઉકેલ ન આવતાં નવી રણનિતિ અંતર્ગત પ્રતિક ઉપવાસ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code