યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારતીય શેરબજાર ઉપર અસરઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળતી હતી. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું હતું. દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેની અસર ભારત સહિત દુનિયાના અનેક શેર બજાર ઉપર જોવા મળી હતી. સેંસેક્સ 1300થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે આજે શરૂઆત થઈ હતી.
પ્રી-ઓપન સેશનમાં જ ભારે વેચવાલી જોવા મળી હતી. પ્રી-ઓપન સેશનમાં જ બીએસઈ સેંસેક્સ 1800 અંક એટલે કે 3.15 ટકાથી વધારે તુટ્યું હતું. જ્યારે એનએસઈ નિફ્ટીમાં પણ 500 પોઈન્ટ જેટલુ નુકશાન જોવા મળ્યું હતું. સવારે બજાર ખુલ્યા બાદ સેંસેક્સ 55750 અંકની આસપાસ વેપાર કરતો હતો. નિફ્ટી 350 અંક તૂટીને 16700ની આસપાસ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 9.48 કલાકે 2053 પોઈન્ટ તુટીને 55178 પર પહોંચી ગયો હતો. બેંકિંગ શેરમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. રોકાણકારોના લગભગ દસ લાખ કરોડનું ધોવાણ થયું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનની સામે સૈન્ય ઓપરેશનની જાહેરાત કરીને ધમકી પણ આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, બહારના કોઈ પણ આમા દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. તમામ જરૂરી નિર્ણય લઈ લેવાયાં છે. પોતાની આપાતકાલિન સ્પીચમાં પુતિને કહ્યું કે, આ વિવાદ અમારા માટે જીવન-મરણનો સવાલ છે. યુક્રેને લાલ રેખા પાર કરી છે. યુક્રેન નીયો-નાજીનું સમર્થન કરે છે. આ માટે અમે સ્પેશિયલ મિલીટ્રી ઓપરેશન શરૂ કર્યું છે.