1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી
અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસે વાહનોના દસ્તાવેજ ન હોવાથી પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસે 83,884 વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 6,541 વાહનો છોડાવવા માટે કોઈ આવ્યુ જ નથી. અને આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના વાહનો પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા હતા. માત્ર અમદાવાદ શહેરમાં જ પોલીસે છેલ્લા બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા હતા, જેમાંથી 6,541 હજુ સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી કે, વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહનો જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા વાહનોના માલિકો પાસેથી 11.02 કરોડ રુપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 2020માં જે વાહનોને જપ્ત કરાયા હતા તેમને છોડાવવા તેમના માલિકોએ સરેરાશ 1425 રુપિયા દંડ ભરવો પડ્યો હતો. આ વર્ષમાં 62,993 વાહનો જપ્ત કરાયા હતા, જેમાંથી 4,034 હજુય બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનોમાં પડ્યા છે. 2021માં પોલીસે 20,891 વાહનો જપ્ત કર્યા હતાં, જેમાંથી 2,507 વાહનો હજુય કોઈ છોડાવવા નથી આવ્યું.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જો વાહન કેટલાક મહિના સુધી પડ્યા રહે તો પણ તેને છોડાવવા ઉપરાંત રિપેર કરાવવાનો ખર્ચો 25થી 50 હજાર રુપિયા જેટલો આવતો હોય છે. તેવામાં ઘણા વાહન માલિકો તેને છોડાવવાનું જ માંડી વાળે છે. બિનવારસી પડેલા મોટાભાગના વાહનો ટુ વ્હીલર અને રિક્ષા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં ગાડીઓ પણ કોઈ છોડાવવા નથી આવતું.

આરટીઓના સુત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વાહનો એવા પણ છે કે જેને સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવ્યા હોય, પરંતુ તેની માલિકી ટ્રાન્સફર ના કરાઈ હોય. ઘણા કિસ્સામાં વાહનના મૂળ માલિકનો અતોપતો ના હોવાથી તેને છોડાવવું મુશ્કેલ બની જાય છે. તો કેટલાક મામલામાં વાહન માલિક પાસે PUC, RTOની રસીદ તેમજ RC બુક ના હોવાના કારણે તેને છોડાવી નથી શકાતા. વાહન જો જૂનું હોય તો ઘણીવાર તેને છોડાવવા માટે દંડની જેટલી રકમ ભરવાની આવે તે વાહનની કિંમત કરતાં પણ વધી જતી હોવાથી પણ લોકો તેના માટે તૈયાર નથી થતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code