1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાણીના પ્રશ્ને મ્યુનિ.કમિશનરના બંગલે કોંગ્રેસ દ્વારા ડોલ લઈને સૂત્રોચ્ચાર કરાયો
અમદાવાદમાં પાણીના પ્રશ્ને મ્યુનિ.કમિશનરના બંગલે કોંગ્રેસ દ્વારા ડોલ લઈને સૂત્રોચ્ચાર કરાયો

અમદાવાદમાં પાણીના પ્રશ્ને મ્યુનિ.કમિશનરના બંગલે કોંગ્રેસ દ્વારા ડોલ લઈને સૂત્રોચ્ચાર કરાયો

0
Social Share

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ને લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પૂર્વના સ્લમ વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.એવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરના બંગલે પાણીના ખાલી ડોલો લઈને ધરણા સાથે સૂત્રોચ્ચાર કરાયો હતો.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમના કેટલાક વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી અને ક્યારેક તો પાણી આવતું જ ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરમાં પાણીની સમસ્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત લોકો પાણીની ડોલ, બ્રશ લઈ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાના લો ગાર્ડન સ્થિત બંગલે પહોંચ્યા હતા. કમિશનર બંગલાની બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

મ્યુનિ.કમિશનરના બંગલે વિરોધ કરવા માટે એકઠા થયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાય રે કમિશનર હાય હાય અને પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો અને લોકો પાણીની ડોલ, બ્રશ અને ટુવાલ લઈ મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈ અને નાહવા માટે પાણી આપોના નારા લગાવ્યા હતા. મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરો-લોકોએ કમિશનર બંગલાની બહાર બેસીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા. તેમજ કમિશનર હમારા લોચન સહેરા હે પાણી કે નામ પર બહેરા હેના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરો સહિત 15થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.એક તરફ શહેરમાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના જોડાણો પહોંચાડવામાં આવે છે અને અનેક જગ્યાએ પાણીની પાઈપલાઈનો તૂટેલી છે. શહેરનો પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો ફુવારો ઉડયો હતો અને રોડ પર વહી ગયું હતું. જ્યારે થલતેજ વિસ્તારમાં એલન કલાસીસ રોડ પર દરરોજ સવારે પાણીનો વેડફાટ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો પાણીનો વેડફાટને અવગણી રહ્યા છે. પરંતુ નજીકમાં રોડ પર ફૂટપાથ પર રહેતા લોકો આ પાણીની એક એક ટીપાંની કિંમત છે અને તેઓ આ પાણીને ભરી તેનો ઉપયોગ કરે છે. એકતરફ પાણીની સમસ્યા છે તો બીજી તરફ વેડફાટ અને ગેરકાયદેસર કનેક્શનના પગલે લોકો હેરાન થઈ રહ્યા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code