1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મધ્યાહન ભોજન પાછળ કરાતા નજીવા ખર્ચને લીધે પૌષ્ટિક આહાર આપી શકાતો નથી
ગુજરાતમાં મધ્યાહન ભોજન પાછળ કરાતા નજીવા ખર્ચને લીધે પૌષ્ટિક આહાર આપી શકાતો નથી

ગુજરાતમાં મધ્યાહન ભોજન પાછળ કરાતા નજીવા ખર્ચને લીધે પૌષ્ટિક આહાર આપી શકાતો નથી

0
Social Share

ગાંધીનગરઃ ગાંમડાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બાળકો માટે આશીર્વાદ સમાન છે. બાળકોને ગુણવત્તાલક્ષી અને પૌષ્ટિક આહાર અપાય છે. કે નહીં તેની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. બીજીબાજુ સરકાર દ્વારા મધ્યાહન ભાજન પાછળ બાળકદીઠ માત્ર રૂપિયા 2.88નો ખર્ચ કરવામાં આવે છે. એટલે કે પુરા ત્રણ રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવતો નથી, જો કે સરકાર દ્વારા મધ્યાહન ભોજન માટે અનાજ. તેલ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે પરંતુ દળામણ, બળતણ, શાકભાજી અને મરીમસાલાનો ખર્ચ વગેરે ગણીને માત્ર 2.88 રૂપિયા બાળકદીઠ આપવામાં આવે છે. આટલી ઓછી રકમમાં બાળકોને પૌષ્ટિક આહાર કેવી રીતે આપી શકાય એવો પ્રશ્ન મધ્યાહન ભોજનના સંચાલકો ઉઠાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકોને ભોજનનો ખર્ચ મોંઘવારી મુજબનો વાસ્તવિક નહીં અપાતો હોવાના કારણે સરકારે નક્કી કરેલા પોષક ભોજનના ધારાધોરણ જળવાતા નથી. તેના કારણે ભોજનની ગુણવત્તા ઉપર અસર પડતી હોવાનું મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા સંચાલકોનું કહેવું છે. મધ્યાહન ભોજન યોજના પાછળ 2021ના વર્ષમાં લગભગ 990 કરોડ અને 2022ના વર્ષમાં અંદાજે 890 કરોડ જેટલો ખર્ચ કરાયો છે. જેમાં શિક્ષણ વિભાગના દાવા મુજબ ધોરણ 1 થી 5ના બાળક પાછળ હાલ દર મહિને 143 રૂપિયા અને ધોરણ 6થી 8ના બાળકો પાછળ દર મહિને 200 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તે સાથે ભારત સરકાર દ્વારા કરાતા વધારા મુજબ બાળકદીઠ ફાળવાતી રકમમાં વધારો કરાતો હોવાનો દાવો પણ શિક્ષણ વિભાગ સત્તાવાર રીતે કરે છે.

મધ્યાહન ભોજન યોજનાના સંચાલક મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે,  હાલ જે રકમની ફાળવણી શિક્ષણ વિભાગ કરે છે તેમાં ધોરણ 1થી 5માં ફક્ત 2.88 રૂપિયાનો જ ખર્ચ થાય છે. જેમાં દળામણ, બળતણ, શાકભાજી અને મરીમસાલાનો ખર્ચ પણ સામેલ છે.  ધોરણ 6થી 8માં હાલની રકમ મુજબ 3.31 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. અનાજ પુરવઠા વિભાગ દ્વારા અપાય છે. સરકારે જે પોષક આહાર નક્કી કર્યો છે અને મોંઘવારીમાં મરચા સહિતની ચીજ વસ્તુના ભાવ વધી જાય છે તેને ધ્યાનમાં રાખતા આ ખર્ચ ઘણો ઓછો છે. તેથી ભોજનમાં મરચુ ઓછુ નાખવું પડે કે અન્ય રીતે બાંધછોડ કરવી પડતી હોય છે. છેલ્લા છ મહિનાથી રાજ્ય સરકારે કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો નથી. અન્ય રાજ્યમાં ગુજરાત કરતા બાળક દીઠ વધુ રકમ ખર્ચ કરવામાં આવે છે જ્યારે ગુજરાત તેમાં પાછળ છે. રાજ્યમાં 43 લાખ બાળકો મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા હોય અને શિક્ષણ વિભાગ માટે સરકાર જંગી ખર્ચ પણ કરતી હોય ત્યારે થોડો વધુ ખર્ચ કરવાથી બાળકોને સારું ભોજન મળી શકે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code