1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં ઓછા ખર્ચે દર્દીઓની થશે સારવાર,સામાન્ય માણસ પણ કરોડોની દવાઓ ખરીદી શકશે
ભારતમાં ઓછા ખર્ચે દર્દીઓની થશે સારવાર,સામાન્ય માણસ પણ કરોડોની દવાઓ ખરીદી શકશે

ભારતમાં ઓછા ખર્ચે દર્દીઓની થશે સારવાર,સામાન્ય માણસ પણ કરોડોની દવાઓ ખરીદી શકશે

0
Social Share

દિલ્હી: ભારતમાં ગંભીર રોગોની સારવાર ખૂબ ખર્ચાળ છે. સામાન્ય રોગો માટે પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તગડું બિલ આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિએ હેલ્થ ઈન્સ્યોરન્સ ન લીધો હોય તો સામાન્ય માણસ માટે હોસ્પિટલ અને ડોક્ટરનું બિલ મોટી સમસ્યા બની જાય છે.

પરંતુ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીથી સામાન્ય માણસ પણ દુર્લભ રોગોની સારવાર સરળતાથી મેળવી શકશે અને તેના માટે તેને કરોડો રૂપિયા ખર્ચવા પડશે નહીં. આ સુવિધા થોડા લાખ ખર્ચીને સરળતાથી મેળવી શકાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ચાર દુર્લભ રોગોની દવાઓ ખૂબ સસ્તા દરે ઉપલબ્ધ થઈ છે કારણ કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ હવે મોંઘા આયાતી ફોર્મ્યુલેશન પર નિર્ભરતા ઘટાડીને તેનું ઉત્પાદન કરી રહી છે. મંત્રાલયે ‘સિકલ સેલ એનિમિયા’ તેમજ 13 દુર્લભ રોગોને લગતી કાર્યવાહીને પ્રાથમિકતા આપી હોવાથી ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આમાંના ચાર રોગો – ટાયરોસિનેમિયા ટાઈપ 1, ગૌચર રોગ, વિલ્સન રોગ અને ડ્રાવેટ-લેનોક્સ ગેસ્ટાઉટ સિન્ડ્રોમ તેમજ સિકલ સેલ એનિમિયા – માટેની દવાઓ મંજૂર કરવામાં આવી છે અને તે સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ રોગો માટે વધુ ચાર દવાઓ – ફેનિલકેટોન્યુરિયા માટે ટેબ્લેટ સેપ્રોપ્ટેરિન,હાઇપર ઍમોનિયા માટે ટેબ્લેટ સોડિયમ ફિનાઇલ બ્યુટારેટ અને ટેબ્લેટ કાર્ગ્લુમિક એસિડ અને ગૌચર રોગ માટે કેપ્સ્યુલ મિગ્લુસ્ટેટ મંજૂરી માટે પ્રક્રિયામાં છે અને એપ્રિલ 2024 સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

આ દવાઓ સ્વદેશી રીતે બનાવવામાં આવી હોવાથી, ટાયરોસિનેમિયા ટાઈપ 1 ની સારવારમાં ઉપયોગમાં લેવાતી નિટિસિનોન કેપ્સ્યુલ્સની વાર્ષિક કિંમત આયાત કરાયેલી દવાની કિંમતના સોમા ભાગ સુધી ઘટી જશે. આ સંદર્ભે એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ઉદાહરણ તરીકે જ્યારે આયાતી કેપ્સ્યુલ્સની વાર્ષિક કિંમત રૂ. 2.2 કરોડ આવે છે, ત્યારે સ્થાનિક રીતે ઉત્પાદિત કેપ્સ્યુલ્સ હવે માત્ર રૂ. 2.5 લાખમાં ઉપલબ્ધ થશે.”

સૂત્રએ જણાવ્યું કે એ જ રીતે, જ્યારે આયાતી એલિગ્લુસ્ટેટ કેપ્સ્યુલ્સની કિંમત વાર્ષિક રૂ. 1.8-3.6 કરોડ છે, ત્યારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત કેપ્સ્યુલ્સ હવે માત્ર રૂ. 3-6 લાખમાં વાર્ષિક ઉપલબ્ધ થશે.

વિલ્સન રોગની સારવારમાં વપરાતી આયાતી ટ્રાયન્ટાઇન કેપ્સ્યુલ્સની કિંમત પ્રતિ વર્ષ રૂ. 2.2 કરોડ છે, પરંતુ દવા સ્વદેશી રીતે બનાવવામાં આવી હોવાથી તે રૂ. 2.2 લાખમાં ઉપલબ્ધ થશે.

ડ્રાવેટ-લેનોક્સ ગેસ્ટાઉટ સિન્ડ્રોમની સારવારમાં વપરાતી આયાતી કેનાબીડિઓલની કિંમત પ્રતિવર્ષ રૂ. 7 લાખથી રૂ. 34 લાખ સુધીની હોય છે, પરંતુ દેશમાં ઉત્પાદનને કારણે તે પ્રતિ વર્ષ એક લાખ થી પાંચ લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

સિકલ સેલ એનિમિયાની સારવારમાં વપરાતા હાઇડ્રોક્સયુરિયા સિરપનો વાણિજ્યિક પુરવઠો માર્ચ 2024 સુધીમાં શરૂ થવાની સંભાવના છે અને તેની કામચલાઉ કિંમત 405 રૂપિયા પ્રતિ બોટલ હશે. વિદેશમાં તેની કિંમત 70,000 રૂપિયા પ્રતિ 100 મિલી છે. આ બધી દવાઓ અત્યાર સુધી દેશમાં બનાવવામાં આવી ન હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code