
રાજકોટ : રાજકોટ શહેરમાં ભાજપનો જૂથવાદ વકરતો જાય છે. અને શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આબરૂના ધજીયા ઊડી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુથવાદ સામે લાલા આંખ કરી છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું કે જે બાબતની ચર્ચા થઇ રહી છે તેમાં સંબંધિત આગેવાનોને સૂચના આપી દેવામાં આવી છે કે આવા નિવેદનોથી દુર રહે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આ કાર્યક્રમ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવી હતી અને વિતરણ કરવામાં આવી હતી. આ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાના નામનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ બંને મોટા નેતાઓના નામ કાપવાની બાબતે વિવાદ સર્જાયો હતો. દરમિયાન ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જયારે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ત્યારે વિજય રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ વાતચીત કરી રહ્યાં હતા. આ દરમિયાન રામ મોકરીયા પણ ત્યાં પહોચ્યાં હતાં, જો કે વિજય રૂપાણીએ રામ મોકરીયાને બેસી જવાનું કહ્યું હતું.
આ અંગે રામ મોકરીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વિજય રૂપાણી ગોવિદ પટેલને પૂછી રહ્યાં હતા કે પત્રિકાનો વિવાદ શું હતો. ત્યારે રામ મોકરીયા ત્યાં પહોચ્યાં તો વિજય રૂપાણીએ કહ્યું કે તમે આ મામલે દખલ ન કરો. રામ મોકરીયાએ કહ્યું કે ગોવિંદ પટેલ સિનિયર આગેવાન છે અને તેમનું માન જળવાવવું જોઈએ. આ બાબતના મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં પ્રદેશ અધ્યક્ષ પાટિલે નોંધ લીધી હતી. અને ગેરશિસ્ત ચલાવી નહીં લેવાઈ તેવી સ્પષ્ટ સુચના પમ આપવામાં આવી છે. દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પાટિલની હાજરીમાં આગામી 20મી તારીખે રાજકોટમાં યોજાનારૂ સ્નેહ સંમેલન પણ રદ કરવામાં આવ્યું છે. જોકે ભાજપના સત્તવાર સૂત્રોએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.