1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં ગૃહરાજ્યમંત્રીએ વેપારી-ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ SITની રચના કરવા કર્યો આદેશ
રાજકોટમાં ગૃહરાજ્યમંત્રીએ વેપારી-ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ SITની રચના કરવા કર્યો આદેશ

રાજકોટમાં ગૃહરાજ્યમંત્રીએ વેપારી-ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ SITની રચના કરવા કર્યો આદેશ

0
Social Share

રાજકોટ:  રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવશે. એવું સંઘવીએ આશ્વાસન આપ્યુ હતુ.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ન્યાયિક બાબતોને લઈને ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો અને વેપારી સંગઠનો તેમજ સ્થાનિક લોકો સાથે બેઠક યોજી તેમના વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ સાથે મંત્રીએ જિલ્લાના સ્થાનિક નેતાઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે તેમના દ્વારા રજુ કરાયેલા સૂચનો ગ્રાહ્ય રાખ્યા હતા. કોડીનારના જંત્રાખડીની બાળકીના દુષ્કર્મ-હત્યા મામલે સુરતના ગ્રીષ્મા કેસ કરતા પણ વધુ ઝડપી ન્યાય મળશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

રાજકોટ ખાતે યોજાયેલી વિવિધ બેઠકોમાં ઔદ્યોગિક તેમજ સામાજિક સંગઠનો અને લોકોને હૈયાધારણા આપતાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમારી સાથે છે. વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સમગ્ર પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર મળી રહેશે. બેઠકમાં ચેમ્બર દ્વારા રજૂ કરાયેલા વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવશે અને જુદા જુદા રાજ્યોમાં પોલીસ ટીમ  જશે. અને નાણાકીય વ્યવહારોના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બનશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમના દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો, યોજનાઓનો લાભ લેવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો કઢાવવામાં થતી મુશ્કેલીઓ અને વહીવટી સમસ્યાઓ, અશાંત ધારો, દારુ, ડ્રગ્સ સહિતના વિવિધ પ્રશ્નો, જરૂરીયાતમંદ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન આપવા જેવા પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્રો તેમજ ફરિયાદો સ્વીકારી મંત્રીએ જરૂરી નિર્દેશ કરીને પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આ તકે મંત્રીએ અલગથી સ્થાનિક નેતાઓ સાથે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં મંત્રી અરવિંદ રૈયાણી,પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વે ગોવિંદ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિતના નેતાઓ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શહેરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ સૂચનો કર્યા હતાં. કલેક્ટર અરુણ મહેશ બાબુએ મંત્રી હર્ષ સંઘવીનું શાબ્દિક સ્વાગત કરી સ્વાગત કરી બેઠકનું સંચાલન કર્યું હતું. મંત્રી હર્ષ સંઘવીનું રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code