અમદાવાદના કેટલાક વિસ્તારોમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા
અમદાવાદઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાએ લાંબો મુકામ કર્યો છે. હજુપણ વિદાય થવાનું નામ લેતા નથી. આજે પ્રથમ નવરાત્રીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરીયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 20 મિનિટ સુધી ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમજ શાહીબાગ, શાહપુર, કાલુપુર, અસારવા, સુભાષબ્રિજ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટાં પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી બાજુ બે વર્ષથી ગરબા રમવા આતુર બનેલા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો. જોકે રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમ્યા હતા.
ગુજરાતમાં પ્રથમ નોરતે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડતા નવરાત્રિ આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા. અમદાવાદ શહેરવા પૂર્વ વિસ્તારમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ત્યારે પાર્ટી પ્લોટોમાં વરસાદના કારણે ગરબા રમાશે કે કેમ તે અંગે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. વરસાદ બંધ થતાની સાથે જ પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા કોઈ પણ રીતે ગરબા યોજાઇ તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના જીઆડીસી ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ્સ, અને સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂંમ્યા હતા. જોકે દર વખતની જેમ પ્રથમ નવરાત્રીએ લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.
શહેરમાં નવરાત્રિના પ્રારંભ ટાણે જ પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ પડ્યો હતો. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 20 મિનિટમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.