વેરાવળઃ ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હૂત સમારોહનો લાઇવ પ્રસારણ બાર જયોતિલીંગમાં પ્રથમ ગણાતા સોમનાથના સાંનિઘ્યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્પની ભૂમિ છે ત્યારે આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે તમામ 182 બેઠકો જીતવાનો સંકલ્પ આ ભૂમિ પર આજે નવા વર્ષના પ્રારંભે કર્યો હોવાનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ જણાવ્યુ હતુ.
પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. સોમનાથ ચોપાટી ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદેદારો, સાંસદ, આગેવાનો અને મોટી સંખ્યામાં હાજર કાર્યકરોની ઉપસ્થિતિમાં કેદારનાઘામ ખાતેના સમારોહ અને PM મોદીનું સંબોધન લાઇવ પ્રસારણ નિહાળી સાંભળ્યુ હતુ. આ કાર્યક્રમ સ્થળે બાર જયોતિલીંગોના શિવલીંગોનું સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ પૂજન કર્યુ હતુ.
આ તકે નવા વર્ષની રાજયના લોકોને શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવની ભૂમિ સંકલ્પની ભૂમિ છે. આગામી રાજયની વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાના સંકલ્પ સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદી સરકાર દ્વારા 7500 કરોડના કામો થકી કેદારનાથ ધામમાં યાત્રી સુવિધા વઘારવાના કામો કરવામાં આવી રહ્યા છે. જે પૈકીના અમુક કામો પુર્ણ પણ થઇ ગયા છે. આજે નવા વર્ષ સાથે દેશવાસીઓએ સંકલ્પ કર્યો તે પુર્ણ થાય તેવી શુભેચ્છા છે.