હળવદઃ કચ્છના નાના રણના સરહદી ગણાતા આ વિસ્તારમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જોકે ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા થોડા રાહત થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે. ત્યારે પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય બનતી હોય છે. કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48 ડિગ્રીની આસપાસ હોય છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલગાય, ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલા હવાડાની અંદર ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યાં છે. વન વિભાગ દ્વારા 40 જેટલા હવાડા અને પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલી છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલી છે. આ વિસ્તારમાં આવેલા પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણીથી હવાડા ભરવામાં આવે છે. આ અભ્યારણ્યમાં અંદાજીત 40થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે. જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલા વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભ્યારણ્યના અધિકારીઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. આ રણ ના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો હતો. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ 4953.71 ચો.કિ.મી.વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. કચ્છના નાના રણમાં પવનવેગી દોડવીર ગણાતા ઘૂડખરની ઉંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા આ ઘૂડખરને વેરાન રણમાં દોડતું જોવુ એ જ જીવનના એક લ્હાવા સમાન છે.