1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોરના મંદિરમાં ભક્તો 500 રૂપિયા ચૂકવીને ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકાશે,
ડાકોરના મંદિરમાં ભક્તો 500 રૂપિયા ચૂકવીને ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકાશે,

ડાકોરના મંદિરમાં ભક્તો 500 રૂપિયા ચૂકવીને ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકાશે,

0
Social Share

ડાકોરઃ ગુજરાતમાં મંદિરોને પણ હવે મોંઘવારી નડી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં હવે ઠાકોરજી સન્મુખ દર્શન કરવા હશે તો ભાવિકોએ વ્યક્તિદીઠ રૂપિયા 500 ચૂકવવા પડશે. એટલે કે રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ સાત જેટલા દર્શનાર્થીઓ 500 રૂપિયા ચૂકવી VIP દર્શન કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે.  હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે ટેમ્પલ કમિટીના આ નિર્ણય સામે ભક્તોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે. જો કે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન અને સેવક આગેવાનો દ્વારા લેવાયો છે અને આ VIP એન્ટ્રીની જે રકમ આવશે એમાંથી ડાકોર મંદિરના ડેવલપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે. તેમ કહેવામાં આવી રહ્યુ છે.

ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ડાકોર ટેમ્પલ કમિટીની મિટિંગમાં ડાકોર દર્શને આવતા યાત્રીઓ માટે અને દર્શનાર્થીઓની સુખાકારીના ભાગરૂપે ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનો સાથે ચર્ચા કરી અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઠાકોરજીની સન્મુખ કીર્તનયાનીજાળીમાં ઉંબરા સુધી ભગવાનની નજીક જવાનો ચાર્જ રૂપિયા 500 અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવા જવું હોય તો 250 રૂપિયા ન્યોછાવર સ્વરૂપે લેવામાં આવશે. 12 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો માટે આ બન્ને જગ્યાએ દર્શન કરવા જવું હશે અને પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે. આ પ્રમાણે ગુરુવારથી આ સેવા પણ ભક્તો માટે શરૂ થઈ ચૂકી છે. આમ, ડાકોર મંદિરમાં પણ અન્ય મંદિરોની જેમ VIP દર્શનનો ચાર્જ લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code