ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી જાહેર કરી, ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ટાળવાની સલાહ
નવી દિલ્હી, 24 જૂન 2026: ઈરાનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે પોતાના દેશના નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. તાજેતરમાં થયેલા સુધારા હોવા છતાં, ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આજે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ નવી એડવાઈઝરી શેર કરી છે.
તેમાં લખ્યું છે કે, “ભારતીય દૂતાવાસ ઈરાનમાં સુરક્ષાની વર્તમાન સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. તાજેતરના સકારાત્મક વિકાસ અને સ્થિતિમાં એકંદર સુધારાને જોતા, દૂતાવાસ ઈરાન જવાની યોજના બનાવી રહેલા ભારતીય નાગરિકો માટે આ સુધારેલી એડવાઈઝરી જારી કરી રહ્યું છે.” એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “તાજેતરના સુધારા છતાં, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી ઈરાનની તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે.”
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “ઈરાનમાં હાલમાં રહેતા ભારતીય નાગરિકો અને જેમને જરૂરી કામ માટે ઈરાન જવું પડી શકે છે, તેમને ખૂબ સાવધાની રાખવા, દરેક સમયે સતર્ક રહેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમને વિશ્વાસપાત્ર સ્ત્રોતો દ્વારા સ્થાનિક ઘટનાક્રમો પર નજર રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ તમામ સૂચનાઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.”
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકો અને ઈરાન આવનારા લોકોએ વહેલી તકે તેહરાનમાં ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવી જોઈએ. તેમને અપડેટ્સ માટે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિયમિત નજર રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.


