Site icon Revoi.in

ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 21,000 કરોડને પારઃ રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હીઃ ભારતની સંરક્ષણ નિકાસ એક દાયકા પહેલા રૂ. 2,000 કરોડથી વધીને રૂ. 21,000 કરોડને પાર કરી ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન મહુ કેન્ટોનમેન્ટમાં આર્મી વોર કોલેજ (AWC) માં અધિકારીઓને સંબોધિત કરતા આ માહિતી આપી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતે 2029 સુધીમાં 50,000 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આપણી સંરક્ષણ નિકાસ જે એક દાયકા પહેલા રૂ. 2,000 કરોડની આસપાસ હતી, તે હવે રૂ. 21,000 કરોડના ળી સ્તરને વટાવી ગઈ છે. આ સાથે અમે 2029 સુધીમાં રૂ. 50,000 કરોડની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે ભારતમાં બનેલા સાધનો અન્ય દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સતત પ્રગતિ અને વિકાસના સમયમાં અદ્યતન ટેકનોલોજીમાં નિપુણતા એ સમયની જરૂરિયાત છે.

તેમણે વધુમાં કહ્યું કે સૈનિકોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં સૈન્ય તાલીમ કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે તેમના ભાષણમાં કહ્યું કે, માહિતી યુદ્ધ, AI આધારિત યુદ્ધ, પ્રોક્સી યુદ્ધ, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુદ્ધ, અવકાશ યુદ્ધ અને સાયબર હુમલા મોટા પડકારો તરીકે ઉભરી આવ્યા છે. તેમણે આવા હુમલાઓ સામે લડવા માટે સૈન્યને સારી રીતે પ્રશિક્ષિત અને સજ્જ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રક્ષા મંત્રીરાજનાથ સિંહે ઇન્ફન્ટ્રી સ્કૂલમાં હથિયારોની તાલીમ, AI અને મિલિટરી કોલેજ ઑફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ (MCTE), AWC માં જુનિયર અને સિનિયર કમાન્ડમાં કમ્યુનિકેશન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં તાલીમ દ્વારા એકીકરણ વધારવાની શક્યતાઓ શોધવા વિનંતી કરી હતી. ભવિષ્યમાં કેટલાક અધિકારીઓ અન્ય દેશમાં દૂતાવાસ અથવા ઉચ્ચ કમિશનમાં નિયુક્ત કરવામાં આવશે. આ અધિકારીઓએ વૈશ્વિક સ્તરે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સરકાર ભારતને વિશ્વની સૌથી મજબૂત આર્થિક અને સૈન્ય શક્તિઓમાંથી એક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આર્થિક સમૃદ્ધિ ત્યારે જ શક્ય છે જ્યારે સુરક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે. તેવી જ રીતે સુરક્ષા વ્યવસ્થા ત્યારે જ મજબૂત હશે જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત હશે.